મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં બોગસ ખેડૂત ખાતેદાર બનવાના કૌભાંડમાં સંડોવાયેલા સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રી ભરતભાઈ દેવજીભાઈ ખોખરના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભરત ખોખરની ધરપકડ બાદ તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેના 30 જુલાઈ બપોર 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


મહેસૂલ વિભાગમાં મચ્યો ખળભળાટ

આ કૌભાંડમાં બોગસ વારસાઈ આંબો એટલે કે વંશાવળી બનાવીને ખોટા આધાર-પુરાવા ઊભા કરી કેટલાક લોકો ખેડૂત ખાતેદાર બન્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. આ અંગે ગત મે મહિનામાં માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ CID ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ઘટનાથી મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.

કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે

તપાસ દરમિયાન આ સમગ્ર ગેરરીતિમાં તત્કાલીન તલાટી મંત્રી ભરત ખોખરની સંડોવણી ખૂલતા તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે રાજકોટ CID ક્રાઈમ દ્વારા રિમાન્ડ દરમિયાન આરોપી તલાટી મંત્રી ભરત ખોખરને સાથે રાખીને આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને આવા કેટલા બોગસ ખેડૂત ખાતેદારો બન્યા છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.


  • Follow us on: