મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન હવે વધુ મક્કમ બન્યું છે. આંદોલન સમેટવા અને સુખદ અંત લાવવા માટે સરકાર દ્વારા મધ્યસ્થતાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ઉપવાસી છાવણી દ્વારા સરકારના આ આમંત્રણનો સવિનય અસ્વીકાર કરવામાં આવ્યો છે. ખેડૂત નેતા નિકેટ પંચાસરાએ સરકાર તરફથી મળેલું બેઠકનું આવેદન સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે.
વાતચીત માટે ખેડૂતોની કડક શરત
ખેડૂતોએ સરકાર સાથે વાટાઘાટોના દ્વાર બંધ નથી કર્યા, પરંતુ વાતચીત ટેબલ પર આવતા પહેલા એક કડક શરત મૂકી છે. ખેડૂત આંદોલનકારીઓનું કહેવું છે કે, તેઓ સરકાર સાથે ચર્ચા કરવા માટે બિલકુલ તૈયાર છે, પરંતુ તે પૂર્વે ખેડૂતોના દરેક મુદ્દા અને માગણીઓ પર સરકાર પોતાનો સ્ટેન્ડ લેખિતમાં સ્પષ્ટ કરે. સરકાર લેખિતમાં પોતાનો અભિગમ જણાવે તે પછી જ ખેડૂતો કોઈ પણ સત્તાવાર બેઠકમાં ભાગ લેશે.













