મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક અત્યંત કરુણ ઘટના બની છે. ચંદ્રગઢ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં બે શ્રમિક યુવાનો ડૂબી ગયા હોવાની આશંકા છે. આ ઘટના બાદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ દ્વારા બંને યુવાનોની શોધખોળ માટે સઘન રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ડૂબી ગયેલા યુવાનોની ઓળખ અશ્વિન રાઠવા અને હિતેશ રાઠવા તરીકે થઈ છે. જેઓ ખેતમજૂર તરીકે કામ કરતા હતા.


ચંદ્રગઢ નજીક નર્મદા કેનાલમાં બે શ્રમિક ડૂબ્યા

આ બંને યુવાનો બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાણી પીવા માટે કેનાલ કિનારે ઊતર્યા હોવાનું મનાય છે. આ દરમિયાન જ કોઈ અકસ્માતે તેઓ કેનાલના ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર એકઠા થઈ ગયા હતા. તરત જ હળવદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કેનાલમાં ડૂબેલા યુવાનોની શોધખોળ શરૂ કરી છે.

ફાયર બ્રિગેડે શ્રમિકોની શોધખોળ આદરી

કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે. પોલીસ આ યુવાનોના પરિવારજનોનો સંપર્ક કરીને વધુ વિગતો મેળવી રહી છે. આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાવી દીધો છે. ફાયર બ્રિગેડની ટીમ બંને યુવાનોને સહીસલામત શોધવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે.


  • Follow us on: