રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે. હવે ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવશે. ચૈતર વસાવા હવે પાકા કામના કેદી બન્યાં છે. કોર્ટે સજા ફટકાર્યા બાદ ચૈતર વસાવા અને તેમના વકીલનું નિવેદન સામે આવ્યું છે. 


મને ન્યાય તંત્ર પર પૂરો ભરોસો: ચૈતર વસાવા

સજા જાહેર થયા બાદ ચૈતર વસાવાએ કહ્યું હતું કે, આજે મને સાત વર્ષની જેલની સજા મળી છે. મને ન્યાય તંત્ર પર પૂરો ભરોસો છે. કોર્ટના ચુકાદાનો આદર કરીએ છીએ. હવે અમે ઉપલી કોર્ટમાં અપીલ કરીશું. તેમના વકીલ સુરેશ જોશીએ કહ્યું હતું કે, આ રાજકીય કિન્નાખોરી રાખીને ખોટી રીતે ઉભો કરેલો કેસ છે. આ કેસમાં હવે સજાનો ચુકાદો આવ્યો છે. હવે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવા સહિતના 9 આરોપીઓને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે. ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવી છે. 

કોર્ટમાં સાક્ષીઓ અને પુરાવા રજૂ કરવામાં આવ્યા

આ કેસની સુનાવણી રાજપીપળા સેશન્સ કોર્ટમાં ચાલી હતી. જેમાં તમામ સરકારી સાક્ષીઓ અને પુરાવા રજૂ કરવામાં આવ્યા હતાં. જેના આધારે કોર્ટે આજે પાંચ પુરૂષ અને ચાર સ્ત્રી સહિત કૂલ 9 આરોપીઓને દોષિત જાહેર કરી સાત વર્ષની સજા તથા 25 હજારનો દંડ ફટકાર્યો છે. હવે ચૈતર વસાવા જામની અને સજા પર સ્ટે માટે હાઈકોર્ટમાં જવાની અપીલ કરવાની વાત કરી રહ્યાં છે. 

આ પણ વાંચોઃ Gujarat News: 7 વર્ષની સજા બાદ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકશે? જાણો શું કહે છે કાયદાવિદ



  • Follow us on: