હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. દર વર્ષની પરંપરા પ્રમાણે સતત પાંદરમાં વર્ષે નવરાત્રિના આજે પ્રથમ દિવસે ખોડલધામ દ્વારા કાગવડથી શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં ગુજરાતભરમાંથી લેઉઆ પટેલ સમાજ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો.


શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિરે પહોંચ્યા

આ પદયાત્રા સવારે નવ વાગ્યે કાગવડ ગામથી માં ખોડલના જય જયકાર સાથે નરેશભાઈ પટેલની આગેવાનીમાં પ્રારંભ થઇ હતી. જેમાં માં ખોડલના રથની આગેવાનીમાં ગરબે રમતાં રમતાં શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિરે પહોંચ્યા હતાં. મંદિરે પહોંચીને માં ખોડલની મહાઆરતી કરી મંદિરના શિખર પર નરેશભાઈ દ્વારા ધ્વજારોહણ કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ધર્મસભાનું આયોજન

 ધ્વજા રોહણ બાદ મંદિરના પરિસરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં પદયાત્રામાં ઉપસ્થિત લેઉઆ પટેલ સમાજના રાજકીય આગેવાનો અમરેલીના સાંસદ ભરત સુતરિયા, ધરાસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કશવાલા, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા, બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમજ પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટ વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે નરેશભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં ખોડલધામમાં ક્યારેય રાજકારણ નહિ લાવવા અપીલ કરી હતી અને વર્ષ 2027માં ખોડલધામમંદિરને દસ વર્ષ થતા ત્રણથી પાંચ દિવસનો દશાબ્દિ મહોત્સવ ધૂમધામ અને જોરશોરથી ઉજવણીની જાહેરાત કરી હતી.

યજ્ઞશાળામાં યજ્ઞ

આજે પ્રથમ નોરતે ખોડલધામ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. આ પદયાત્રામાં શ્રી ખોડલધામના ટ્રસ્ટીશ્રીઓ, ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્યના કન્વીનરો, મહિલા સમિતિ, વિદ્યાર્થી સમિતિ, યુવા સમિતિ જોડાયા હતાં.

મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોનો શણગાર

નવરાત્રિ દરમિયાન મંદિરે મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ દ્વારા મા ખોડલની આરાધના કરવામાં આવશે. નવરાત્રિમાં નવે-નવ દિવસ મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોનો શણગાર કરવામાં આવશે.


  • Follow us on: