ભાવનગર જિલ્લાના પાલીતાણા-ગારીયાધાર રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, અમરેલીથી આવી રહેલા એક પરિવારની કાર રસ્તા પર જઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતાની સાથે જ કારે ધડાકાભેર પલટી મારી હતી અને રોડની બાજુમાં જઈને ઊંધી વળી ગઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
પરિવારનો આબાદ બચાવ, મોટી જાનહાનિ ટળી
આ અકસ્માતની ગંભીરતા જોતાં મોટું નુકસાન થવાની આશંકા હતી, પરંતુ સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. અકસ્માત સર્જાતાની સાથે જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ સમયસૂચકતા વાપરીને પલટી મારેલી કારમાં ફસાયેલા પરિવારના સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને મુસાફરોને ગંભીર ઇજાઓ પણ પહોંચી નથી.













