પાટણ જિલ્લાના રાધનપુરમાં ખુલ્લી ગટરના કારણે એક ગંભીર દુર્ઘટના બની છે. જેમાં 55 વર્ષીય મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઊભા કર્યા છે. રાધનપુરના વોર્ડ નંબર 7માં આવેલી સરસ્વતી નગર સોસાયટીના ગેટ પાસે આ દુર્ઘટના બની હતી. આ વિસ્તારમાં ઠેર ઠેર ખુલ્લી ગટરો આવેલી છે. જે સ્થાનિક લોકો માટે જોખમી બની રહી છે.


આ બનાવ સરસ્વતી નગર સોસાયટી ગેટ સામે બન્યો

ગઈ મોડી સાંજે 55 વર્ષીય નર્મદાબેન નામના મહિલા આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ ખુલ્લી ગટરમાં ખાબક્યા હતા. ગટરમાં પડવાથી નર્મદાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તેમને તાત્કાલિક સારવાર માટે ધારપુર હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે માથામાં થયેલી ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું.

સારવાર દરમિયાન નર્મદાબેનનું મોત નીપજ્યું 

આ ઘટના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના નિવાસસ્થાન નજીક જ બની હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા ખુલ્લી ગટરોને ઢાંકવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બેદરકારીનું પરિણામ એક નિર્દોષ મહિલાના મોત સ્વરૂપે આવ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સામે સખત કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: