સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે રવિવારે મતદાન યોજવાનું છે.તેના પહેલા મતદારો પોતાના વતી કોને પાલિકા-પંચાયતના વહિવટનો, ટેક્સના ઉપયોગનો અધિકાર સોંપવો તે વિચારી શકે એ હેતુસર લોકતાંત્રિક વ્યવસ્થામાં 48 કલાકનો શાંતિ સમય મળે છે.એટલા માટે શુક્રવારે સાંજના છ કલાકથી ઉમેદવારો-રાજકીય પક્ષોને જાહેરમાં પ્રચાર પડધમ શાંત કરવા પડશે.આ ચૂંટણીમાં મતદાન પહેલા જ 731 ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે. આજે સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જશે.રવિવારે 9274 બેઠકો પર 25551 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
ચૂંટણી અગાઉ 731 બેઠકો બિનહરીફ થઈ
શહેરી સંસ્થાઓમાં જ્યાં આખેઆખા વોર્ડમાંથી ચાર ઉમેદવારો અને ગ્રામિણક્ષેત્રોમાં જિલ્લા પંચાયતની બેઠક અને તેના હેઠળના તાલુકા મતદાર મંડળોના તમામ સભ્યો બિનહરિફ થયા છે. તેવા ક્ષેત્રોમાં મતદાન થશે નહીં. 731 બિનહરિફ બેઠકો પૈકી ઊંઝા, ગણદેવી જેવી નગરપાલિકાઓના નવ વોર્ડના ચારેય ઉમેદવારો એમ કુલ મળીને 36 ઉમેદવારો બિનહરિફ હોવાથી પાલિકાઓના ત્રણ લાખ મતદારોને મતાધિકાર મળશે નહી.જયારે પંચાયતોમાં જિલ્લા પંચાયતની એક બેઠક હેઠળ તાલુકા પંચાયતોની તમામ બેઠકો બિનહરિફ હોય તેવા 16 જેટલા મતદાર મંડળો હોવાથી ગ્રામિણક્ષેત્રે 13 લાખ મતદારોને ચૂંટણીમાં પોતાના અધિકારનો ઉપયોગ કરી શકશે નહી.જો કે,જે શહેરી સંસ્થામાં સમગ્ર વોર્ડ બિનહરિફ જાહેર થયો નથી ત્યા મતદારોને એક, બે કે ત્રણ ઉમેદવારો ચૂંટવાની તક મળશે.













