ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્ટેજ ઉપરથી આડકતરી રીતે કેટલાક તીખા ચાબખાં માર્યા હતા. તેમનો આ પ્રહાર સીધો કડીના વર્તમાન રાજકારણ અને નવા ધારાસભ્ય તરફ હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, "ધારાસભ્ય બહાર ગામના છે, હું બહાર ગામનો નથી." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "હું 50 (પચાસ) વર્ષથી કડીને જોઉં છું," જ્યારે "ધારાસભ્યને હજુ 4 (ચાર) મહિના થયા છે, બિચારાને." નીતિન પટેલે ત્યાં હાજર લોકોને ચેતવણી આપતા કહ્યું કે, "મને છેતરતા નઈ, એમને છેતરજો," કારણ કે "કડીમાં કોણ ખાડા પાડે છે અને કોણ પૂરે છે, બધું મને ખબર છે."
પોતાની નિષ્ઠા અને રાજકીય મૂલ્ય પર ભાર
નીતિન પટેલે માત્ર આડકતરી ટીપ્પણીઓ જ નહીં, પણ પોતાનું રાજકીય મૂલ્ય અને નિષ્ઠા પણ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, "હું સસ્તો રાજકારણી કે મફતિયો રાજકારણી નથી," કે જે માત્ર આવે અને મફતનું લઈ જાય. પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા તેમણે દાખલો આપ્યો કે, "મેં એ વખતે ચંપાબા નામકરણ કરવા માટે ₹11 લાખ આપ્યા છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે." જ્યાં સુધી તેઓ કડીમાં બેઠા છે, ત્યાં સુધી "ખોટું નહીં થાય," તેવી ખાતરી પણ તેમણે આપી હતી.













