આજે સાંજના છ કલાકથી ઉમેદવારો-રાજકીય પક્ષોને જાહેરમાં પ્રચાર પડધમ શાંત કરવા પડશે.આ ચૂંટણીમાં મતદાન પહેલા જ 731 ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે. આજે સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જશે.રવિવારે 9274 બેઠકો પર 25551 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ત્યારે પ્રચાર પડઘમ શાંત થવા આડે ગણતરીના કલાક બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. રાજકોટમાં શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષની બાઈક રેલીમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યાં છે. એક પણ ટુવ્હિલર ચાલકે હેલ્મેટ નહીં પહેર્યું હોવાનું સામે આવ્યું છે.
ભાજપના કાર્યકરો અને નેતાઓ ભાન ભૂલ્યા
આજે પ્રચાર કરવાના છેલ્લા દિવસે રાજકોટમાં ભાજપની બાઈક રેલી નીકળી હતી. શહેરમાં વોર્ડ નંબર ત્રણમાં ભાજપના ઉમેદવારોએ રેલી કાઢીને પ્રચાર કર્યો હતો. ઈશ્વરિયા ગામથી પ્રચાર માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને લોકસંપર્ક કરવામાં આવ્યો હતો. ચૂંટણીના પ્રચારમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ ભાન ભૂલ્યા હતાં. રેલીમાં ટુવ્હીલર પર સવાર તમામ લોકો હેલમેટ વગર જોવા મળ્યા હતાં. ભાજપના કાર્યકરો અને નેતાઓએ ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવ્યા હતાં.













