તાજેતરમાં રાજકોટ શહેરના પુનિતનગર વિસ્તારમાં મહાનગર પાલિકાના વોર્ડ ઓફિસ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ભાવુક થઈ ગયા હતાં.તેમણે કહ્યું હતું કે, મારી છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.મને બદનામ કરવામાં આવી રહી છે.લીલુબેન જાદવે મીનાબેન આચાર્ય સાથે મળી ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સમય માંગ્યો છે.તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે અમારા ચોક્કસ લોકો જ અમને બદનામ કરી રહ્યાં છે. ત્યારે ગૃહમંત્રીએ રાજકોટમાં આંતરિક જૂથવાદ મુદ્દે બેઠક યોજી છે.


રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ મુદ્દે બેઠક

આજે ગૃહમંત્રી અમિત શાહ રાજકોટની મુલાકાતે છે. તેમણે રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે ભાજપના આંતરિક જૂથવાદ મુદ્દે બેઠક કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેર અને જિલ્લા સંગઠનના આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં માર્કેટિંગ યાર્ડ સહિતના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં આંતરિક જૂથવાદને કઈ રીતે ડામવો તેમજ આગામી સમયમાં આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

સાંસદ રામ મોકરિયાને લઈને વિવાદ શરૂ થયો હતો

અગાઉ ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઈને વિવાદ શરૂ થયો હતો. તેમણે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં અનેક તર્ક વિતર્ક સામે આવ્યા હતાં. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, હાલાતો સે હારને વાલા મત સમજના, આજ હવા તેરી હૈ કલ તુફાન હમારા હોગા. હાથી ચલે બાઝાર કુત્તે ભોંકતે હજાર. તેમણે દિલ્હીથી સાંસદો સાથેના ફોટો પણ પોસ્ટ કર્યા હતાં. તેમની આ પોસ્ટ બાદ રાજકોટ ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે. ભાજપમાં જૂથવાદ વકર્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે


  • Follow us on: