પોરબંદર-રાજકોટ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત થયા છે. આ ઘટનામાં એક નાની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ પરિવાર રાજકોટથી તલાટીની પરીક્ષા આપીને પોરબંદર પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની.


કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

મૃતકોમાં પતિ, પત્ની અને તેમના સાળાનો સમાવેશ થાય છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે તેમની બ્રેઝા કાર રોડ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે પતિ, પત્ની અને સાળાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાઈ

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિકોના ટોળા સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. મૃતક પતિ વ્યવસાયે શિક્ષક હતા. જેઓ તલાટીની પરીક્ષા આપીને પોતાના પરિવાર સાથે પરત ફરી રહ્યા હતા. આ અકસ્માતે આખા વિસ્તારમાં શોકનો માહોલ ફેલાવી દીધો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. આ ગંભીર ઘટનાએ હાઈવે પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ફરી એકવાર ભાર મૂક્યો છે.


  • Follow us on: