પોરબંદરમાં રખડતા પશુઓને પકડવા ગયેલી મહાનગરપાલિકાની ટીમને કડવો અનુભવ થયો છે. મનપાએ પકડેલા પશુઓને બળજબરીથી છોડાવી દેવામાં આવ્યા હતા એટલું જ નહીં, એક કર્મચારીનું અપહરણ કરી ટ્રેક્ટર પર છોડાવી લેવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કર્યવાહી હાથ ધરી છે.


મનપાએ પકડેલા પશુ બળજબરીથી છોડાવ્યા

તમને જણાવી દઈએ કે, પોરબંદર મનપાની ટીમ રખડતા પશુઓને પકડવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન ઓડદર ગૌશાળા પાસેથી કેટલાક પશુઓને પકડવામાં આવ્યા હતા. જોકે, આ સમયે કેટલાક ઇસમો દ્વારા મનપાની ટીમને અટકાવવામાં આવી હતી. ઈસમોએ મનપાના કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી અને બળજબરીપૂર્વક પશુઓને ટ્રેક્ટરમાંથી છોડાવી મૂક્યા હતા. આટલેથી ન અટકતા, તેમણે મનપાના એક કર્મચારીનું અપહરણ કરી, ટ્રેક્ટર પણ પોતાની સાથે છોડાવીને લઈ ગયા હતા. આ ઘટનાથી મનપાના કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

સમગ્ર ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મનપાના કર્મચારીઓની ફરિયાદના આધારે સાત અજાણ્યા ઈસમો વિરુદ્ધ અપહરણ, સરકારી કામગીરીમાં અવરોધ અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં રખડતા પશુઓના મુદ્દે પ્રવર્તતી સમસ્યા અને તેને લગતા સંઘર્ષને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે.


  • Follow us on: