પોરબંદરમાં દરિયાઈ વિસ્તારમાં ખરાબ હવામાનની આગાહીને પગલે તંત્ર દ્વારા માછીમારોને તાત્કાલિક દરિયાકાંઠે પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સરકાર દ્વારા માછીમારોને હાલમાં માછીમારી માટે દરિયામાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.


ભારે પવન સાથે વરસાદ હોવાથી સૂચના અપાઇ

જે બોટો પહેલેથી જ ફિશિંગ માટે દરિયામાં ગઈ છે તેમને તાત્કાલિક નજીકના બંદર પર આશ્રય લેવા માટે અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24થી 48 કલાક દરમિયાન અરબી સમુદ્રમાં વાતાવરણ તોફાની રહેશે. જેને કારણે તા.19/08/2025થી 23/08/2025 સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. તેમજ માછીમારી માટે બોટને આપવામાં આવતા ટોકન પણ બંધ કરવામાં આવ્યા છે.

બોટોને નજીકના બંદર પર જવા સરકારની અપીલ

આ પ્રકારની ચેતવણી દરિયામાં માછીમારી કરતા હજારો માછીમારોના જીવ બચાવવા માટે અત્યંત જરૂરી છે. ખરાબ હવામાનમાં બોટને મોટું નુકસાન થઈ શકે છે અને માછીમારોનો જીવ પણ જોખમમાં મૂકાઈ શકે છે. તંત્ર દ્વારા આ મામલે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂર પડે તો તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા માટે ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે.


  • Follow us on: