ગુજરાતમાં ચાલુ ચોમાસુ સિઝનમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. બીજી તરફ શિયાળુ પાકનું વાવેતર કર્યા બાદ માવઠાની અસરને કારણે ખેતરમાં તૈયાર થયેલો ઉભો પાક ધોવાઈ જતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. હાલમાં માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મંત્રીઓ દ્વારા નુકસાનીનો તાગ મેળવાઈ રહ્યો છે. ત્યારે માછીમારોએ પણ રાહત પેકેજ જાહેર કરવા માગ કરી છે. ઓગસ્ટ મહિનાથી સતત ખરાબ હવામાનને કારણે માછીમારોને મોટુ નુકસાન પહોંચ્યું છે.
15 ઓગસ્ટ 2025થી માછીમારી સિઝનની શરૂઆત
ગુજરાતના ખારવા સમાજના પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, માછીમારીની નવી સિઝન શરૂ થયાના અઢી મહિના દરમિયાન માછીમારોને ખરાબ હવામાન અને વાવાઝોડાને કારણે મોટુ નુકસાન થયું છે. ખારવા સમાજના પૂર્વ પ્રમુખ સુનિલ ગોહેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી જણાવ્યુ છે કે 15 ઓગસ્ટ 2025થી ગુજરાતમાં માછીમારી સિઝનની શરૂઆત થઈ હતી.અત્યાર સુધીમાં ત્રણથી ચાર ચક્રવાતો અરબી સમુદ્રમાં સર્જાયા છે. જેના કારણે નાની મોટી 40 હજાર બોટોને ફિશરીઝ તથા હવામાન વિભાગ દ્વારા વારંવાર ચેતવણી જાહેર કરવામાં આવી હતી.













