રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટી બસોના કારણે સર્જાતા અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક વધુ એક સિટી બસે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી સિટી બસે એક બાઇકને અડફેટે લેતા રોડ પર થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.
સદનસીબે જાનહાનિ ટળી, વાહનચાલકનો આબાદ બચાવ
કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે બસ અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો જોખમી હતો કે બાઇક સવાર રસ્તા પર ફગાઈ ગયો હતો. જો કે, આ ભયાનક ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.













