રાજકોટ જિલ્લાના ઉપલેટાની મોજ નદી પરનો પુલ અત્યંત દયનીય હાલતમાં છે, પુલ હાલ તો ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ અન્ય નાના વાહનો પોતાના જીવના જોખમે પુલ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. ઉપલેટાથી પસાર થતી મોજ નદી પર રાજા સર ભગવતસિંહજીના સમયમાં બનાવેલો પુલ જે અત્યંત જર્જરીત હાલતમાં છે.


ભારે વાહનોના ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

હાલ આ પુલને તંત્ર દ્વારા જિલ્લા કલેકટરના હુકમથી ભારે વાહનોના ઉપયોગ માટે તો બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ ઉપલેટાના સ્થાનિકોનું કહેવું છે કે માત્ર મોજ નદી પરના પુલ પરથી ભારે વાહનોને અવરજવર બંધ કરી અને તંત્રએ સંતોષ માની લીધો છે. આ પુલનું તાત્કાલિક ધોરણે રીનોવેશન કરવું જોઈએ, જેથી કરી અને અહીંથી પસાર થતા વાહનોને પાંચ કિલોમીટર દૂરથી ફરીને જવું ના પડે.

તાત્કાલિક ધોરણે આ પુલનું સમારકામ કરવા માટે માગ ઉઠી

ઉપલેટાના સ્થાનિકોનું કહેવું છે કે મોજ નદી પરનો જે પુલ છે, જે જર્જરીત હાલતમાં છે. પુલ પર ગાબડા અને તિરાડો પડી ગઈ છે અને પુલના સ્ટ્રક્ચરમાં પણ તીરાડો પડી છે, સ્ટ્રક્ચરમાંથી સળિયાઓ દેખાઈ રહ્યા છે અને પુલ ગમે ત્યારે તુટી શકે એવી સ્થિતિ છે અને જો આ પુલ પડી જશે તો ઉપલેટાથી રાજકોટ તરફ જતા વાહનચાલકોને અને ખેડૂતોને પણ ખેતરમાં જવા માટે મુશ્કેલી ઉભી થશે. ત્યારે તાત્કાલિક ધોરણે આ પુલનું સમારકામ કરવા માટે માગ ઉઠવા પામી છે. 

  • Follow us on: