રાજ્યમાં દિવસે દિવસે ડ્રીન્ક એન્ડ ડાઈવના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે મોટા અકસ્માતો રાજ્યમાં સર્જાય છે અને જેમાં નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે. ત્યારે રાજકોટમાં વધુ એક વખત નશાખોર કારચાલકનો આતંક સામે આવ્યો છે. શહેરના બિગ બજાર પાસે દારૂડિયા કાર ચાલકે 9 વાહનચાલકોને અટફેટે લીધા છે. જેમાં એક્ટિવા ચાલક માતા અને પુત્રીને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
રોષે ભરાયેલી પબ્લિકે દારૂડિયાની કાર પર પથ્થરમારો કર્યો
અકસ્માતની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી છે. બીજી તરફ રોષે ભરાયેલી પબ્લિકે દારૂડિયાની કાર પર પથ્થરમારો કર્યો છે અને રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે હાલમાં અકસ્માત સર્જનાર કાર ચાલકને પોલીસે અટકાયતમાં લીધો છે અને તેની વિરૂદ્ધ વધુ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા શહેરમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, છતાં પણ નશાખોર કારચાલકો સુધરવાનું નામ લઈ રહ્યા નથી. ત્યારે સવાલ એ છે કે જો કોઈ વ્યક્તિ આ અકસ્માતની ઘટનામાં મોતને ભેટ્યુ હોત તો તેના માટે જવાબદાર કોણ રહેતું?
અમદાવાદમાં નશાખોર કારચાલકે સર્જ્યો અકસ્માત
બીજી તરફ અમદાવાદમાં પણ નશાખોર કારચાલકે અકસ્માત સર્જ્યો છે. શહેરના અખબારનગર પાસે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધો છે. અખબારનગર અંડરપાસના દરવાજા સાથે પણ કાર ચાલક અથડાયો છે. ત્યારે ટુ વ્હીલર ચાલકને અટફેટે લેતા તેને સામાન્ય ઈજાઓ પહોંચી છે. પોલીસે આ નશાખોર કારચાલકની અટકાયત કરી લીધી છે અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.