રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશન કામગીરી દરમિયાન 'કાજુકતરી ઝિયાફત'નો મામલો ભારે વિવાદ જગાવી રહ્યો છે. આ ચકચારી મુદ્દે આખરે રાજકોટ મનપાના મુખ્ય આરોગ્ય અધિકારીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને તંત્રનો બચાવ કરતાંં જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં સતત ત્રણ દિવસ સુધી ડિમોલિશનની કડક કામગીરી ચાલી રહી હતી. આ કામગીરીમાં મનપાના અલગ-અલગ વિભાગોનો સ્ટાફ હાજર રહ્યો હતો. 3દિવસ દરમિયાન કુલ 4,800થી વધુ સ્ટાફ માટે ચા-પાણી, રિફ્રેશમેન્ટ અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.


માન્ય સંસ્થાઓને અપાયો હતો કોન્ટ્રાક્ટ

આરોગ્ય અધિકારીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ સમગ્ર વ્યવસ્થા માટે સરકાર માન્ય સંસ્થાઓને જ સત્તાવાર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ખર્ચના બિલ અંગે ખુલાસો કરતા તેમણે ઉમેર્યું કે, ડિમોલિશનની કામગીરીની સત્તાવાર વિગતો આપવા માટે એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલા મીડિયાકર્મીઓ માટે કાજુકતરી અને સમોસાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. તંત્રના જણાવ્યા મુજબ, આ બધો ખર્ચ નિયમબદ્ધ રીતે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જ કરવામાં આવ્યો છે.

મનપાની કામગીરી અને બિલિંગ સિસ્ટમ સામે શંકાની સોય 

મનપા અધિકારીએ ભલે સ્ટાફ અને પ્રેસ કોન્ફરન્સનો બચાવ કર્યો હોય, પરંતુ આ મામલે હજુ પણ એક મોટો સવાલ અને વિવાદ પરાકાષ્ઠાએ છે. વિપક્ષ અને સ્થાનિક સ્તરે ચર્ચા ચાલતી હોવા મુજબ, પ્રેસ કોન્ફરન્સમાં માંડ 40 થી 50 જેટલા પત્રકારો હાજર રહ્યા હતા. તેવામાં માત્ર આટલા જ લોકો માટે રૂપિયા 34,000ની જંગી રકમની કાજુકતરીનું બિલ કઈ રીતે બની શકે? આટલી મોટી માત્રામાં કાજુકતરી ખરેખર કોણ ઓહિયાં કરી ગયું, તેને લઈને મનપાની કામગીરી અને બિલિંગ સિસ્ટમ સામે ગંભીર શંકાની સોય ચીંધાઈ રહી છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: