રાજકોટ શહેરમાં છેલ્લા થોડા સમયથી વાતાવરણમાં આવેલા પલટાની સાથે જ રોગચાળાએ માથું ઉચક્યું છે. રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ, મલેરિયા, ટાઈફોઈડ અને કમળા સહિતના કેસોમાં મોટો ઉછાળો નોંઘાયો છે. જે કારણે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં પણ ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.


તાવ, શરદી અને ઝાડા-ઉલટીના આંકડાએ ચિંતા વધારી

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં સામાન્ય તાવના રેકોર્ડબ્રેક 830 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત, બદલાતા હવામાનના કારણે શરદી અને ઉધરસના 724 દર્દીઓ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ પાણીજન્ય રોગોની છે, જેમાં ઝાડા-ઉલટીના 359 કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે.


ડેન્ગ્યુ, ટાઈફોઈડ અને કમળાના કેસો પણ નોંધાયા

રાજકોટમાં મચ્છરજન્ય અને પ્રદૂષિત પાણીના કારણે થતા ગંભીર રોગોના કેસોમાં પણ વધારો થયો છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા અનુસાર, રાજકોટ શહેરમાં ટાઈફોઈડ અને કમળાના 2 કેસ નોંધાયા છે. જ્યારે જીવલેણ ગણાતા મેલેરિયા અને ડેન્ગ્યુનો 1-1 કેસ પોઝિટિવ આવતા તકેદારીના પગલાં ભરવાનું શરૂ કરી દેવાયું છે.


આરોગ્ય વિભાગે ફટકારી 798 એકમોને નોટિસ

રોગચાળાના આ વકરેલા આંકડા સામે આવ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. રોગચાળો અટકાવવા અને મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો નાબૂદ કરવા માટે તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગંદકી અને નિયમોના ઉલ્લંઘન બદલ 798 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.


પાણીના શુદ્ધિકરણ માટે 1955 સ્થળોએ ક્લોરિન ટેસ્ટ

પાણીજન્ય રોગચાળા પર કાબૂ મેળવવા માટે કોર્પોરેશનની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં વિતરણ થતા પાણીની શુદ્ધતા ચકાસવા માટે અલગ-અલગ 1955 સ્થળોએ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા માટે અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Rajkot : સૌરાષ્ટ્ર તરસ્યું..! આજી-ન્યારી ડેમમાં 15 જુલાઈ સુધીનું જ પાણી, જૂનાગઢના 17 જળાશયો ખાલીખમ થતાં હાહાકાર


  • Follow us on: