રાજકોટમાં ઉપવાસ અને તહેવારો દરમિયાન લોકોની આસ્થા સાથે ચેડા કરવાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં જલારામ ફરસાણ નામની દુકાનમાં મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી. આરોગ્ય વિભાગને મળેલી બાતમીના આધારે જલારામ ફરસાણની દુકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન તપાસ કરતા માલુમ પડ્યું હતું કે દુકાનદાર ફરાળી પેટીસ બનાવવા માટે બટેટાના માવાને બદલે મકાઈના લોટનો ઉપયોગ કરી રહ્યો હતો.


ગ્રાહકો સાથે ખુલ્લી છેતરપિંડી

મકાઈનો લોટ ફરાળી ન હોવા છતાં તેને ફરાળી વસ્તુ તરીકે વેચવામાં આવતો હતો. જે ગ્રાહકો સાથે ખુલ્લી છેતરપિંડી હતી. આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને દુકાનમાંથી મળી આવેલા 85 કિલો ફરાળી પેટીસના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ઉપરાંત પેટીસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા 5 કિલો મકાઈના લોટનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આ દુકાનદાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

લોકોમાં ભારે રોષ અને આક્રોશ

આ ઘટનાએ ઉપવાસ કરતા લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો છે. લોકોની ધાર્મિક આસ્થા અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા વેપારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી હતી. આ કિસ્સો દર્શાવે છે કે ઉપવાસ દરમિયાન વસ્તુઓ ખરીદતી વખતે પણ સાવચેત રહેવું જરૂરી હોય છે.


  • Follow us on: