રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ મોટી મારડ ગામે એક દુઃખદ ઘટના બની હતી. અહીં એક 35 વર્ષીય યુવકનું ભૂલથી ઉંદર મારવાની દવા પી જવાથી મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ગામના પ્રકાશ સોલંકી નામના યુવકે અજાણતામાં ઉંદર મારવાની દવા પી લીધી હતી. આ ઘટના બનતા જ તેની તબિયત લથડી હતી.


યુવકે ભૂલથી ઉંદર મારવાની દવા પી લીધી હતી

તબિયત લથડતા તેને ગંભીર હાલતમાં તાત્કાલિક ધોરાજીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. પ્રકાશ સોલંકીના પરિવારજનોના જણાવ્યા મુજબ આ ઘટના અજાણતામાં બની હતી અને તેણે ભૂલથી દવા પી લીધી હતી. ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત

જોકે કમનસીબે સરકારી હોસ્પિટલમાં સારવાર શરૂ થાય તે પહેલાં જ પ્રકાશ સોલંકીનું મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ કરી રહી છે. આ દુર્ઘટનાથી યુવકના પરિવારમાં ભારે શોકનું વાતાવરણ છવાયુ છે.


  • Follow us on: