રાજકોટ શહેરના જામનગર રોડ પર જુના સાંઢીયા પુલ બ્રિજને નવો ફોરલેન બ્રિજ તૈયાર કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન સાંઢિયા પુલના નિર્માણની કામગીરી વખતે સ્લેબ નમી પડ્યો હોવાની મોટી દુર્ઘટના સામે આવી છે. 74 કરોડના ખર્ચે સાંઢિયા પુલની કામગીરી વખતે ટેકા ખસી જતા છતમાં અઢી ફૂટ જેટલું ગાબડું પડ્યું. સદનસીબે આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.


બ્રિજ દુર્ઘટના બાદ સઘન કામગીરીના આદેશ

74 કરોડના ખર્ચે સાંઢિયા પુલના નિર્માણ દરમિયાન જ ગઈકાલે મોટી દુર્ઘટના બની. બ્રિજના ટેકા એકાએક ખસી જતા સ્લેબ નમી ગયો. ત્રાપા ટેકા ખસી જતા છતમાં અઢી ફૂટ જેટલું એક બાજુમાં ગાબડું પડ્યું. સાંઢિયા પુલની દુર્ઘટનાની જાણ થતા જ અધિકારીઓએ દોડવું પડયું. નવા બ્રિજમાં 20 પિલર ઉપર 120 ઉપર ગડર મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દોઢ મહિનામાં 65 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રાજકોટ-જામનગરને જોડતાં સાંઢિયા પુલની કામગીરીમાં ગઈકાલે બનેલી ઘટના બાદ નિર્માણાધીન કામગીરી વધુ સઘન બનાવવા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

માર્ચ 2026 સુધીમાં તૈયાર થશે બ્રિજ

બ્રિજની ફાઉન્ડેશનની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું કે નવા સાંઢીયા પુલની કામગીરી સમયસર શરૂ થઈ છે અને જો આ જ પ્રમાણે કામગીરી આગળ વધશે તો તેના નિર્ધારિત સમય એટલે કે માર્ચ 2026 સુધીમાં તૈયાર થશે. જણાવી દઈએ કે નવા સાંઢીયા પુલ પર ફોરલેન બનશે. આ બ્રીજની કુલ લંબાઇ 602.90 મીટર તથા કુલ પહોળાઇ 16.40 મીટર થશે. બ્રીજની બંને બાજુ 7.50 મીટર પહોળાઇના કેરેજ વે બનાવવામાં આવશે અને સેન્ટ્રલ મિડિયમની પહોળાઇ 0.50 મીટર રહેશે. 

  • Follow us on: