કહેવત છે કે મિત્ર હોય તો ઢાલ સમો હોય દુઃખમાં હંમેશા સાથે આપે, કૃષ્ણ અને સુદામાની મિત્રતાના આજે પણ ઉદાહરણ આપવામાં આવે છે. આવી જ એક મિત્રતાની વાત જેતપુરના બે મિત્રોની છે બચપણથી સુખદુઃખ વેઠી સાથે મોટા થયેલ અને યુવાન થતા એક મિત્રનું અકસ્માતમાં મોત થયું ત્યારે બીજા મિત્રએ સ્વર્ગસ્થ મિત્રના કાયમી સંભારણા માટે મુક્તિધામમાં ભગવાનની પ્રતિમાઓ વચ્ચે મિત્રની પ્રતિમા બનાવીને સ્થાપિત કરી અને દરરોજ સવારે કામ પર જતાં પૂર્વે મિત્રની પ્રતિમાના દર્શન કરીને જાય એટલે ભગવાનની જેમ પૂજે છે


મિત્રએ મિત્રની યાદમાં પ્રતિમા સ્થાપિત કરી

રાજકોટ જિલ્લાના જેતપુરના મુક્તિધામ(સ્મશાન)માં અનેક દેવી દેવતાંની મૂર્તિઓ સ્થાનિકોએ સ્થાપિત કરેલ છે અને લોકો તેની પુજા કરતા જોવા મળે છે, આ ભગવાનની મૂર્તિ વચ્ચે એક મૂર્તિ સૌનું ધ્યાન આકર્ષિત કરે તેવી છે કેમ કે મૂર્તિ કોઈ ભગવાનની નહીં પરંતુ સ્વર્ગસ્થ માણસની છે. અને મૂર્તિ મુક્તિધામમાં સ્થાપિત કરનાર છે જેતપુરમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા ચંદુભાઈ મકવાણા, ચંદુભાઈ દરરોજ સવારે મુક્તિધામમાં મૂર્તિની પૂજા કરે છે. હવે વાત કરીએ મૂર્તિની તો ચંદુભાઈ જે મૂર્તિની પૂજા કરે છે તે કોઈ ભગવાનની મૂર્તિ નહી પરંતુ તે છે તેમના પરમ મિત્ર અપ્પુ જોગરણાની છે. અપ્પુભાઈ અને ચંદુભાઈ બંને બાળપણના જીગરજાન મિત્રો હતા, બન્ને એક બીજા માટે જાન આપવા તૈયાર રહેતા, બન્ને મૂળ ભાવનગરના રહેવાસી ચંદુભાઈ પોતાના કામ ધંધા માટે જેતપુર આવી ગયા હતા.

મિત્રનું સ્મરણ થાય તે સાથે જ અટકેલ કામ થઈ જાય

પરંતુ મિત્રતા ઓછી ન થઈ દરરોજ સવારે ઉઠે એટલે પેલા મિત્રને મોબાઈલથી એક કોલ કરી ખબર અંતર પૂછી લેવાના ત્યારબાદ નિત્યક્રમ શરૂ કરવાનો પરંતુ કાળને આ મંજુર ન હતું તેમ અપ્પુભાઈનું વર્ષ 2016માં માર્ગ અકસ્માત થયો જેની જાણ ચંદુભાઈને થતા ચંદુભાઈ કામ ધંધો છોડી મિત્રને શું થયું તે જાણવા માટે નીકળ્યા પરંતુ તેઓ હોસ્પિટલ મિત્ર પાસે પહોંચે તે પૂર્વે જ મિત્ર અપ્પુભાઈએ દુનિયાને અલવિદા કહી દીધી. આ સમાચાર સાંભળી ચંદુભાઈ માથે આભ ફાટી પડ્યું અને હું મારા મિત્રને બચાવી ન શક્યો તેનો વસવસો મનમાંને મનમાં કોરી ખાય દરરોજ મિત્ર યાદ આવે અને જેવું મિત્રનું સ્મરણ થાય તે સાથે જ અટકેલ કામ થઈ જાય.

ચંદુભાઈ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં દિવસેને દિવસે પ્રગતિ કરતા થઈ ગયા

સ્વર્ગસ્થ અપ્પુભાઈ જાણે કે, અદ્રશ્ય રહીને ચંદુભાઈના દરેક કામમાં સાથે જ હોય તેવી અનુભૂતિ થતી હતી, આથી પોતાના દિલમાં વસી ગયેલા અપ્પુભાઈને હંમેશા જીવંત રાખવા માટે ચંદુભાઈના મનમાં મિત્ર અપ્પુભાઈની એક મૂર્તિ બનાવી તેને પૂજવાનો વિચાર આવ્યો. અને તેઓએ અપ્પુભાઈની મૂર્તિ બનાવીને ધામધૂમથી જેતપુરના મુક્તિધામમાં સ્થાપિત કરી, અને દરરોજ દિવસની શરૂઆતમાં ઘરેથી નીકળી પ્રથમ મુક્તિધામ જઈ મિત્રની મૂર્તિની પુજા કરવાની અને આ છેલ્લા નવ વર્ષથી નિત્યક્રમ બનાવી લીધો. મિત્રના સ્મરણથી મુશ્કેલ તમામ કામ થઈ જતા હોય ચંદુભાઈ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં દિવસેને દિવસે પ્રગતિ કરતા થઈ ગયા.

 જન્મ દિવસ પણ એક હોવાથી દર જન્મ દિવસે બે કેક કાપે છે

એટલે પોતાના કન્સ્ટ્રક્શનનું ફર્મનું નામ પણ ચંદુભાઈએ અપ્પુ કન્સ્ટ્રક્શન રાખ્યું. અને આજે પણ કઈ નવું સાહસ કરે તો પ્રથમ અપ્પુભાઈની મૂર્તિની પૂજા કરીને જ કરે છે. અને બંનેનો જન્મ દિવસ પણ એક હોવાથી દર જન્મ દિવસે બે કેક કાપે છે એક પોતાના નામની અને બીજી મિત્રના નામની અને દરેક દરેક જન્મ દિવસ કોઈ ઘર કે કોઈ હોટલમાં નહિ પરંતુ મિત્રની જ્યાં મૂર્તિ છે ત્યાં મુક્તિધામમાં પરીવાર સાથે બહેરામુંગા બળકોને બટુક ભોજન કરાવીને ઉજવે છે. આજના કળયુગમાં મતલબ જ મિત્રતા છે ત્યારે ચંદુભાઈની તેના મિત્ર માટેની આસ્થા અને તેની મિત્રતા જોઈને કોઈ ને પણ ઈર્ષા થાય તે ચોક્કસ છે, આજના આ ફ્રેડશીપ દિવસે દરેક મિત્રોને ચંદુભાઈ જેવો મિત્ર મળે તેવી શુભેચ્છા.

  • Follow us on: