રાજકોટમાં વધુ એક હડતાળની ચીમકી. શહેરમાં 1 નવેમ્બરથી રેશનીંગ દુકાનદારો હડતાલ પર ઉતરશે. રેશનીંગ દુકાનદારોની હડતાલથી અનેક જરૂરિયાતમંદો અનાજ વિનાના રહેશે. રેશનીંગ કાર્ડ ઉપર ધારકો જરૂરિયાત પ્રમાણે જીવન જરૂરી વસ્તુ એવી અનાજ અને કઠોળની ખરીદી કરતા હોય છે. પરંતુ રેશનીંગ દુકાનદારો હાલમાં પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરતા અનેક જરૂરિયાતમંદોની હાલત કફોડી થશે. આ લોકોને માસિક રાશન ના મળવાથી પરિવાર મોટી મુશ્કેલીમાં મુકાશે.


સમસ્યાનો ઉકેલ ના આવતા દુકાનદારો હડતાલ ઉપર

રાજકોટના 700સહિત રાજ્યભરના 17 હજાર દુકાનદારો હડતાલ ઉપર ઉતરશે. રેશનીંગ મંડળ દ્વારા છેલ્લા કેટલાક સમયથી કેટલીક સમસ્યાને લઈને તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ ના આવતા આખરે તેમણે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. કારણ કે હંમેશા હડતાળ બાદ જ પ્રશ્નોના ઉકેલ આવતા હોય છે. કોઈપણ સમસ્યા હોય જયાં સુધી હડતાળ અથવા ઉગ્ર દેખાવો કરવામાં ના આવે ત્યાં સુધી તંત્રના બહેરા કાને સામાન્ય જનતાનો અવાજ સંભળાતો નથી. પડતર માંગણીઓને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવાનું રેશનીંગ મંડળ દ્વારા જણાવવામાં આવ્યું. સમસ્યા મુદ્દે કોઈ જવાબ ના આપતા રાજકોટ જિલ્લા ફેર પ્રાઇસ ઓફ એસોસિએશનના આગેવાનો દ્વારા DSOને આવેદન આપવામાં આવ્યું હતું.

લાખો જરૂરિયાતમંદ અનાજ ધારકોની વધશે મુશ્કેલી

રેશનીંગ મંડળે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે અમે બાયોમેટ્રિક વેરિફિકેશન પરિપત્ર રદ કરવા, સમયસર કમિશનની ચુકવણી સહિતના અનેક મુદ્દાઓને લઈને અગાઉ રજૂઆત કરી હતી. પરંતુ આ મુદ્દાઓ પર ના કોઈ વાતચીત થઈ અને ના કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો છે. એટલે અમારા મંડળ દ્વારા આ મુદ્દાઓ પર રાજ્ય સરકાર ચોક્કસ નિર્ણય લઈ પગલા લે તેવી અમારી માગ છે. આ માગ પૂર્ણ ના થતા અમે હડતાળ પર ઉતર્યા છે. અમને આશા છે કે હડતાળ બાદ તંત્રના ધ્યાનમાં અમારી મુશ્કેલીઓ આવશે. જો કે રેશનીંગ દુકાનદારો હડતાળ ઉપર ઉતરતા અનેક રેશનકાર્ડ ધારકો જેઓ નિયમિત જરૂરી રાશનની ખરીદી કરે છે તેમને અસર થશે. 1 નવેમ્બરથી લાખો જરૂરિયાતમંદ અનાજ ધારકો અનાજ અને કઠોળથી વંચિત રહેશે. 

  • Follow us on: