અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક આજે એક ખેતરમાં પાંચ ખેડૂતો ફસાયા હોવાની ઘટના સામે આવી હતી. ખેતરોમાં અચાનક પાણી ફરી વળતા ખેડૂતો ત્યાં ફસાઈ ગયા હતા. જે બાદ તેમને બચાવવા માટે એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દાતરડી નજીકથી પસાર થતી હાંડલીયા નદી અને રામતલીયા નદીમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો.


દાતરડી ગામ નજીક પાંચ ખેડૂતો ખેતરમાં ફસાયા

સવારે પોતાના ખેતરોમાં ગયેલા આ પાંચ ખેડૂતોને આ વાતનો ખ્યાલ ન રહેતા તેઓ પાણીથી ઘેરાઈ ગયા હતા. તેઓ સવારથી જ ખેતરમાં ફસાયેલા હતા. આ ઘટનાની જાણ તંત્રને થતાં જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખેડૂતોને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટૂંક સમયમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

NDRFની ટીમે સફળ રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા

આ પ્રકારની ઘટનાઓ ચોમાસામાં સામાન્ય હોય છે. પરંતુ આ કિસ્સામાં પાણીનું સ્તર અને પ્રવાહ વધુ હોવાથી ખેડૂતો પોતાના દમ પર બહાર નીકળી શકે તેમ નહોતા. આ ઘટનાએ ફરી એકવાર નદી કિનારાના વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતોને સાવચેત રહેવાની અને પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને કામ કરવાની ચેતવણી આપી છે.


  • Follow us on: