સુરત જિલ્લાના મહુવા તાલુકાના કાછલ ગામે ગણેશ વિસર્જન દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના બની છે. વિસર્જન કરવા ગયેલા ત્રણ યુવાનોમાંથી બેનો આબાદ બચાવ થયો છે. જ્યારે એક 37 વર્ષીય યુવાન ખાડીના પાણીમાં તણાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોમાંં શોકનો માહોલ છવાઈ ગયો છે. ડૂબેલા યુવાનનું નામ ચેતન સુકર ચૌધરી હતું અને તે કાછલ ગામના ગૌચર ફળિયાનો રહેવાસી હતો.


કાછલ ગામે ગણેશ વિસર્જનમાં 3 યુવાનો ખાડીમાં તણાયા

ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે તે તેના બે મિત્રો સાથે ખાડી કિનારે ગયો હતો. વિસર્જન બાદ ત્રણેય યુવાનો પાણીમાં હતા. ત્યારે અચાનક પાણીનું વહેણ વધી જતાં તેઓ ડૂબવા લાગ્યા. આસપાસના લોકોએ મદદ માટે બૂમો પાડતા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે બે યુવાનોને સમયસર બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી. પરંતુ ચેતન ચૌધરી પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો હતો.

ફાયર અને પોલીસના જવાનોએ તણાયેલા યુવકની શોધખોળ આદરી

ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ ફાયર અને પોલીસના જવાનો દ્વારા ખાડીમાં ચેતન ચૌધરીની શોધખોળ માટે સઘન રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે શોધખોળમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાથી ચેતનના પરિવાર અને ગામલોકોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. ગણેશ ઉત્સવની ઉજવણીના અંતિમ દિવસે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમાં ગરકાવ કરી દીધો છે.


  • Follow us on: