સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ કેપિટલ લૉન્ઝ ખાતે નવરાત્રી માટે બનાવવામાં આવેલો એક વિશાળ ડોમ ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક તૂટી પડતા ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. નવરાત્રીના આયોજન બાદ ડોમ ખોલવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. ડોમ તૂટી પડવાના કારણે ત્યાં કામ કરી રહેલો એક કામદાર ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે લૉન્ઝમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


કાર અને ટ્રકને ભારે નુકસાન

આ અકસ્માત માત્ર માનવ ઈજા પૂરતો સીમિત નહોતો. વિશાળ ડોમનો જથ્થો તૂટી પડવાના કારણે તે નીચે ઉભેલી બે ટ્રક અને એક કાર પર પડ્યો હતો. જેના પરિણામે ત્રણેય વાહનોને મોટું નુકસાન થયું છે. જોકે, આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ છે કે નવરાત્રીના આયોજકો દ્વારા આ અકસ્માતને દબાવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આયોજકોએ ઈજાગ્રસ્ત કામદારની સારવાર ખાનગીમાં કરાવી હોવાનું જણાવી પોલીસ કે ફાયર વિભાગને આ ઘટનાની સહેજ પણ જાણકારી આપી નહોતી.

આયોજકોની બેદરકારી પર સવાલ

મોટા વરાછામાં બનેલી આ ઘટના આયોજકોની ગંભીર બેદરકારી દર્શાવે છે. એક તરફ જાહેર કાર્યક્રમ માટે ઊભો કરાયેલો ડોમ સુરક્ષાના ધોરણોની ઉણપને કારણે તૂટી પડ્યો અને બીજી તરફ, અકસ્માત સર્જાયા બાદ પણ સરકારી એજન્સીઓ - પોલીસ અને ફાયર વિભાગને જાણ ન કરીને આયોજકોએ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આયોજકો દ્વારા ઘટનાને છુપાવવાના પ્રયાસથી તેમના ઇરાદાઓ પર સવાલો ઊભા થયા છે અને વહીવટી તંત્ર દ્વારા આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી થવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા કાર્યક્રમોમાં સુરક્ષાના નિયમોનું યોગ્ય પાલન થાય.


  • Follow us on: