સુરત શહેરમાં ધાર્મિક વિધિ અને અંધશ્રદ્ધાના નામે ભોળા નાગરિકોને છેતરતી એક શાતિર ગેંગનો પર્દાફાશ થયો છે. સુરતની લસકાણા અને ઉત્રાણ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાજકોટથી ઓપરેટ કરતી આ ઠગ ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ખાસ કરીને મહિલાઓને પિતૃ દોષના નામે ડરાવી, તેમનો વિશ્વાસ જીતીને લાખો રૂપિયાના સોનાના દાગીના પડાવી રફુચક્કર થઈ જતા હતા.
કાઠિયાવાડી વસાહતોને ટાર્ગેટ કરી વાતોમાં ભોળવતા
પોલીસ તપાસમાં સામે આવેલા ખુલાસા મુજબ, આ ગેંગના સભ્યો રાજકોટથી લક્ઝરી બસમાં બેસીને ખાસ સુરત આવતા હતા. સુરતમાં તેઓ મુખ્યત્વે કાઠિયાવાડી પરિવારો વસતા હોય તેવા વિસ્તારોને ટાર્ગેટ કરતા હતા. લોકો સાથે ઓળખાણ કેળવવા માટે આરોપીઓ શરૂઆતમાં ‘રામાપીરના મંડળે જમવા આવજો’ તેમ કહીને વાતચીતની શરૂઆત કરતા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો સાથે ઘરોબો કેળવી પરિવારમાં ચાલી રહેલી બીમારી, ક્લેશ કે આર્થિક તંગીનું કારણ જાણી લેતા હતા.













