સુરત શહેરના પુણા વિસ્તારમાં નકલી પનીરનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. પુણા વિસ્તારમાં આવેલી A-1 ડેરી પર SOG અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અંદાજે 329 કિલો નકલી પનીર જપ્ત કરવામાં આવ્યું, જેની બજાર કિંમત આશરે 65,800 રૂપિયા જેટલી ગણવામાં આવી રહી છે.


100 કિલો જેટલું નકલી પનીર બજારમાં વેચાતું

મળતી માહિતી મુજબ અશોક દુબે નામના વ્યક્તિ દ્વારા આ નકલી પનીરનો જથ્થો મોકલવામાં આવતો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે છેલ્લા અઢી વર્ષથી આ ડેરી મારફતે નકલી પનીરનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. દરરોજ અંદાજે 100 કિલો જેટલું નકલી પનીર બજારમાં વેચાતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ફૂડ સેફ્ટી અધિકારીઓએ સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કરી વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે.

ભેળસેળ સામે તંત્ર વધુ સતર્ક બન્યું

આ પનીર આરોગ્ય માટે હાનિકારક હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે દૂધ અને દૂધ ઉત્પાદનોમાં ભેળસેળ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા ખાદ્ય પદાર્થોમાં આવી ભેળસેળ સામે તંત્ર વધુ સતર્ક બન્યું છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલુ રાખી છે.

આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં પરમિટ વાળા વિદેશી દારૂના વેચાણથી સરકારને રૂપિયા 100 કરોડથી વધુની આવક


  • Follow us on: