સુરતમાં ફાયર NOC વગર ચાલતી 3 શાળાની માન્યતા રદ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. મળેલી માહિતી મુજબ સુરત જીલ્લાની ત્રણ શાળાની માન્યતા રદ કરાઇ છે.
આ શાળાઓની માન્યતા રદ
જે શાળાની માન્યતા રદ કરાઇ છે તેમાં માંગરોળ વેલફેર પ્રાથમિક શાળાની માન્યતા રદ કરાઇ છે તો પાલોદ સંસ્કાર વિદ્યાલયની માન્યતા રદ કરાઇ છે. ઉપરાંત પલસાણાની સંસ્કાર વિદ્યાલયની માન્યતા રદ કરાઇ છે.
જિલ્લાની 17 સ્કૂલનું ઓફલાઈન શિક્ષણ પણ બંધ
જિલ્લાના શિક્ષણ વિભાગે સપાટો બોલાવીને જિલ્લાની 17 સ્કૂલનું ઓફલાઈન શિક્ષણ પણ બંધ કરવાના આદેશ આપ્યા છે. કમિટીના તપાસ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
ફાયર NOC વિના જ ઘણી સ્કૂલો ધમધમતી હોવાની માહિતી
સુરત શહેર જિલ્લામાં ફાયર NOC વિના જ ઘણી સ્કૂલો ધમધમતી હોવાની માહિતી મળતાં સુરત જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરકતમાં આવ્યા હતા અને તપાસ કમિટી મોકલીને તમામ શાળાઓની તપાસ કરી હતી.
ઘોર બેદરકારી દાખવાઇ
કમિટીએ આપેલા રિપોર્ટના આધારે આ શાળાઓની માન્યતા રદ કરાઇ હતી. માંગરોળ વેલફેર પ્રાથમિક શાળા, પાલોદ સંસ્કાર વિધાલય અને પલસાણાની સંસ્કાર વિદ્યાલય દ્વારા ઘોર બેદરકારી દાખવાઇ હોવાનું જણાતા માન્યતા રદ કરાઇ છે.
સરકારના આદેશની અવગણના
શિક્ષણ વિભાગે જે શાળાઓએ સરકારના આદેશની અવગણના કરી છે,તેમની સામે કડક કાર્યવાહી સ્વરૂપે શાળાની માન્યતા રદ કરી છે. સરકારે બાળકોની સલામતી અને સુરક્ષા માટે ફાયર એનઓસી માટેનો કડક નિયમ બનાવેલો છે પણ આ શાળાએ તેમાં ઘેર બેદરકારી દાખવી હતી.













