સુરતમાં હીરા બજારમાં કામ કરતા રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. એક તરફ બેરોજગારી અને બીજી તરફ આવક બંધ થઈ જવાથી પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું તે સૌથી મોટી મુશ્કેલી છે. ત્યારે આ રત્ન કલાકારોના બાળકોના ફોર્મ શાળામાંથી રદ કરી નાંખવામાં આવતા તેમના બાળકોના શિક્ષણ સામે પણ સવાલ ઉભો થયો છે.
મજૂરીમાંથી રોજના 300 રૂપિયા મળે છે
રત્ન કલાકારોએ કહ્યું હતું કે, સુરતના એક હજાર કરતાં વધુ રત્ન કલાકારોએ આરટીઆઈ કરી છે. અમારા બાળકોના ફોર્મ શા માટે રદ કરવામાં આવ્યા તે અમને કહેવાયું નથી. બીજી વખત ફોર્મ ભર્યું તે પણ રદ કરી દેવાયું છે. એક રત્ન કલાકારે કહ્યું હતું કે, છેલ્લા ત્રણેક મહિનાથી ઘરે બેઠો છું. છૂટક મજૂરી મળી જાય તો કરૂ છું. જે મહિને પાંચથી સાત વાર મળી જાય છે. આ મજૂરીમાંથી રોજના 300 રૂપિયા મળે છે. મારી પત્ની સાડીમાં સ્ટોન લગાવી રોજના 200 રૂપિયા મેળવે છે.













