સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે તા. ૨૬ થી ૨૯ ઓગસ્ટ-૨૦૨૫ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારૂ આયોજન સંદર્ભે કલેકટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલનાં અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે મેળા વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા હતા.
કોઈ પણ જાતની અગવડતા ન પડે અને તરણેતરનો મેળો ઉજવાશે
આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરતા કલેકટરે જણાવ્યું હતુ કે, જિલ્લામાં યોજાનાર મેળાઓમાં લોકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે અને તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે દિશામાં દરેક વિભાગનાં અધિકારીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે. તરણેતરના મેળામાં રસ્તા, પાર્કિંગ, NDRF ટીમ, બસ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, તળાવ અને મેળાના મેદાનની સફાઇ, સ્વચ્છતા, સ્ટેજ રીનોવેશન, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલમ્પિકસ, પશુ સ્પર્ધા, સંચાર વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વાગત વ્યવસ્થા વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
તરણેતર મેળાને લઈ અધિકારીઓએ યોજી બેઠક
કલેકટરે પી.જી.વી.સી.એલ.નાં અધિકારીઓને સમગ્ર મેળા દરમ્યાન વીજપુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે માટે જરૂરી સુચના આપી હતી. વધુમાં તેમણે તરણેતર ખાતે કુંડ અને તળાવ ફરતે તરવૈયા તૈનાત રાખવા જણાવ્યું હતું. મેળાઓમાં કોઈપણ જાતના અકસ્માત ન થાય તેની તકેદારી રાખવા તમામ વિભાગોને તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિર્દેશક ડૉ.ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા, તમામ પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.