સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જનતાની સુવિધાને ધ્યાનમાં રાખીને માર્ગોના જરૂરી સમારકામ માટે સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાહેર હિતના આ કાર્યને પ્રાધાન્ય આપતા, વિભાગ દ્વારા શનિવાર અને રવિવારની રજાના દિવસોમાં પણ આ કામગીરી અવિરતપણે ચાલુ રાખવામાં આવી હતી.કમોસમી વરસાદ બાદ રાજ્ય ધોરીમાર્ગો, મુખ્ય જિલ્લા માર્ગો અને અન્ય જિલ્લા માર્ગોને થયેલ નુકસાનની વિગતવાર સમીક્ષા કરવી અનિવાર્ય છે.


મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે

આ જરૂરિયાતને લક્ષમાં રાખીને, વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા જિલ્લાના વિવિધ રસ્તાઓનો પ્રત્યક્ષ સર્વે કરીને માર્ગની વર્તમાન સ્થિતિ, સમારકામની જરૂરિયાત અને ભવિષ્યના આયોજન માટે મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે.આ સર્વેની કામગીરી કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. જેમાં વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ ઇજનેર, અને નાયબ કાર્યપાલક ઇજનેર સહિતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સક્રિયપણે જોડાયેલા છે.

રસ્તાની સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો

સડલા, દુધરેજ, રાવળીયાવદર, કડુ, છારાદ, રામપરા, ખોલડીયાદ જેવા વિવિધ સ્થળોએ સર્વેની કામગીરી હાથ ધરી જરૂરી સમારકામ કરવામાં આવ્યું હતું.સર્વે પૂર્ણ થયા બાદ, એકત્રિત માહિતીની સત્વરે સમીક્ષા કરવામાં આવશે અને ગુણવત્તાપૂર્વક કામગીરી થાય તે માટેનું આયોજન કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભવિષ્યમાં જિલ્લાની જનતાને મજબૂત, ટકાઉ અને તમામ પ્રકારની આધુનિક રોડ-રસ્તાની સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


  • Follow us on: