ગુજરાતમાં ચાલુ વર્ષના ચોમાસામાં ઉત્તર ગુજરાતમાં થરાદ અને બનાસકાંઠામાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે અનેક ગામોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. ખેડૂતોના ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ જવાથી પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. લોકોની ઘરવખરી પણ ખરાબ થઈ જવાથી લોકોનું જીવન કફોડી સ્થિતિમાં મુકાયું હતું. આ વરસાદના પાણી હજી અનેક વિસ્તારોમાંથી ઓસર્યા નથી.


થરાદના લેડાઉ અને જમડા ગામ સંપર્ક વિહોણા

થરાદ જિલ્લાના લેડાઉ અને જમાડા ગામમાં ભારે વરસાદને કારણે ભરાયેલા વરસાદી પાણી છેલ્લા એક મહિનાથી ઉતર્યા નથી. જેના કારણે ગામો સંપર્ક વિહોણા બન્યા છે. એક મહિનાથી વધુ સમય વિત્યો હોવા છતાં પણ સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. લોકોને જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે 14 કિ.મી જેટલું ફરવુ પડે છે. આ વિસ્તારમાં ગામ અને પ્લોટ વિસ્તારના લોકો એકબીજાથી વિખુટા પડી ગયા છે.

પાણીનો નિકાલ નહીં થતાં ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા

ગ્રામજનોનું કહેવું છે કે, વરસાદના પાણીનો નિકાલ નહીં થતાં ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રના અધિકારીઓ હજી સુધી જોવા પણ આવ્યા નથી. એક પણ નેતાને અમારા વિસ્તારની સ્થિતિ અંગે જાણવાનો પણ સમય નથી. ગામમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે એવી અમારી માગ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કેટલાક ગામના લોકોએ પ્રાંત કચેરી પાસે ધરણાં કર્યા હતાં. તે છતાંય કોઈ કામગીરી થઈ નથી.


  • Follow us on: