બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરનો મુખ્ય પ્રવેશ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. આ માર્ગ પર અંદાજે એક કિલોમીટર સુધી પાણી ભરાયેલા હોવાથી થરાદ જાણે તળાવમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ભારે વરસાદની સૌથી વધુ અસર સ્થાનિક વેપારીઓને થઈ છે.


મુખ્ય માર્ગ ઉપર એક કિલોમીટર સુધી ભરાયા પાણી

મુખ્ય માર્ગ પર આવેલી અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે. દુકાનોમાં રાખેલો માલસામાન પલળી જતાં વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે. આ અચાનક આવેલી આફતને કારણે તેમનો ધંધો પણ ઠપ્પ થઈ ગયો છે. ભારે વરસાદ અને જળભરાવને કારણે થરાદ શહેરનું જનજીવન છેલ્લા બે દિવસથી સંપૂર્ણપણે થંભી ગયું છે. શાળા-કોલેજો બંધ રાખવાની ફરજ પડી છે અને લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે.

થરાદ શહેરનું જનજીવન 48 કલાકથી થંભ્યુ

આવશ્યક ચીજવસ્તુઓ મેળવવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિને સામાન્ય કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ પાણીનો નિકાલ ન થતાં રાહતકાર્યમાં વિલંબ થઈ રહ્યો છે. થરાદના લોકોને હાલમાં રાહત મળે તે માટે તંત્ર દ્વારા ઝડપથી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. હાલ તો આ ભયાવહ સ્થિતિમાંથી બહાર આવવા માટે સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે.


  • Follow us on: