ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક આવેલા નવાબંદર ખાતે એક મોટી દરિયાઈ દુર્ઘટના બનતા માંડ ટળી છે. નવાબંદરથી માછીમારી કરવા માટે મધદરિયે ગયેલી "વિજય સાગર" નામની એક બોટ અચાનક ડૂબી જવાની ઘટના બની હતી. બોટમાં કુલ 9 જેટલા ખલાસીઓ સવાર હતા, અને બોટ ડૂબવા લાગતા તેમના જીવ તાળવે ચોંટી ગયા હતા. સદનસીબે, મધદરિયે નજીકમાં જ માછીમારી કરી રહેલી અન્ય બોટના ખલાસીઓની નજર આ ડૂબતી બોટ પર પડતાં તેઓ તાત્કાલિક મદદ માટે પહોંચી ગયા હતા. સમયસૂચકતા વાપરીને, તે 9 ખલાસીઓને અન્ય બોટ મારફતે સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી.
બોટ ડૂબવાનું કારણ અને માછીમારોની જહેમત
આ બોટ ડૂબવા પાછળનું કારણ પણ સ્પષ્ટ થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, બોટમાં રહેલ પંખાનો મહત્ત્વનો ભાગ તૂટી ગયો હતો, જેના કારણે બોટમાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું હતું અને થોડા જ સમયમાં બોટે જળસમાધિ લઈ લીધી હતી. જોકે, બોટ ડૂબવાને કારણે માછીમાર પરિવારને મોટું નાણાકીય નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ડૂબેલી બોટને પાછી મેળવવા અને વધુ નુકસાન અટકાવવા માટે બોટ માલિકો અને અન્ય માછીમારો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ડૂબેલી બોટને પાણીની સપાટીથી શોધીને તેને 10 થી 12 જેટલી અન્ય બોટો સાથે દોરડાથી બાંધીને ખેંચીને કિનારે લાવવાની કામગીરી ચાલી રહી છે.













