ઉના તાલુકાના ભાચા ગામે આંગણવાડીમાં છત ઉપરથી પોપડા ખર્યા છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આંગણવાડી જર્જરિત હોવા છતાં બાળકોના જીવ સાથે ચેડા શા માટે કરવામાં આવી રહ્યા છે. ભાચા ગામની 3 નંબરની આંગણવાડી છેલ્લા એક વર્ષથી જર્જરીત હાલતમાં છે. છતાં તંત્ર અને અધિકારીઓ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરેલ નથી. આ આંગણવાડીમાં હાલ પાણી પણ ટપકી રહ્યું છે. અન્ય પોપડા પણ હજુ પડે તેવી પરિસ્થિતિમાં છે છતાં આ છત નીચે નાના ભૂલકાંઓ બેસી અભ્યાસ કરી રહ્યા છે.


ભાચા ગામે આંગણવાડીમાં છત ઉપરથી પોપડા ખર્યા

અહીં આંગણવાડીમાં 19 જેટલા બાળકો અભ્યાસ કરે છે. પોપડા પાડવાની ઘટનાને લઈને વાલીઓ બાળકોને મોકલતા પણ અચકાય છે. 2011માં નિર્માણ પામેલ આ આંગણવાડીની દેખરેખ કે સાંભળ લેવાનું કદાચ તંત્ર ભૂલી ગયું છે. કારણકે આ આંગણવાડીની હાલત જોઈ અંદાજો લાગી શકે કે અગિયારેય રંગ રોગન કર્યું નહીં હોય. દીવાલોમાં શેવાળ ઊગી નીકળ્યો છે. હાલ તો આ ઘટનાને લઈને બાળકોના જીવના જોખમે બેસી રહ્યા છે..

ઊનાની 70 જેટલી આંગણવાડી જર્જરિત 

જ્યારે આ અંગે ઉના તાલુકા વિસ્તારમા CDPO ને પૂછવામાં આવ્યું ત્યારે આ અંગે તેઓ અજાણ હતા અને આંગણવાડી વર્કર ઉપર નોટિસ આપવાની વાત કરી પોતાનો લૂલો બચાવ કર્યો હતો. જ્યારે આ CDPO માત્ર ઓફિસમાં બેસી આંગણવાડીઓને ચલાવે છે. ક્યારેય આ આંગણવાડીઓની જાતે તપાસ કરી નથી. હાલ ઊનાની 70 જેટલી આંગણવાડી જર્જરિત હોવાનો ખુલાસો ખુદ ઉના CDPOએ આપ્યો છે.

  • Follow us on: