ગુજરાત જે દેશમાં જીરું અને અન્ય મસાલાના બીજની નિકાસમાં અગ્રેસર છે તેની કુલ નિકાસમાં લગભગ 80%નું યોગદાન આપે છે. આ ક્ષેત્રે ગુજરાતના નેતૃત્વને વધુ મજબૂત બનાવવામાં મહેસાણા જિલ્લામાં આવેલું ઊંઝા શહેર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. આગામી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC) જીરાના વેપારમાં ઊંઝાના વૈશ્વિક નેતૃત્વને ઉજાગર કરશે. વર્ષ 2024-25 દરમિયાન મહેસાણા જિલ્લામાંથી વિશ્વના 101 દેશોમાં આશરે રૂ.3995 કરોડના જીરા અને અન્ય મસાલાના બીજની નિકાસ કરવામાં આવી હતી.
ઊંઝાની સફળતા રાજ્યના વિકસિત ગુજરાત @2047ના વિઝનને અનુરૂપ છે
આ નિકાસ માટે ચીન, બાંગ્લાદેશ, યુએઈ, યુએસએ અને મોરોક્કો જેવા દેશો મુખ્ય બજારો રહ્યા છે. કૃષિ મંત્રાલયના એગમાર્કનેટના ડેટા અનુસાર 15 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ, 2025 દરમિયાન ઊંઝા APMCમાં 54,410 મેટ્રિક ટન જીરું નોંધવામાં આવ્યું હતું. જે ગત વર્ષની સરખામણીએ 17.5%નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ આંકડાઓ ઊંઝાના જીરાના વેપારમાં મજબૂત વૃદ્ધિ અને ખેડૂતોની મહેનતને પ્રતિબિંબિત કરે છે. ઊંઝાની આ સફળતા રાજ્યના વિકસિત ગુજરાત @2047ના વિઝનને અનુરૂપ છે.
કૃષિ ઉત્પાદન અને મસાલાના વેપારના વિકાસને વેગ
જ્યાં ખેતી, પ્રોસેસિંગ અને નિકાસ એકસાથે કામ કરીને ખેડૂતોની વૈશ્વિક પહોંચ સુધારે છે. ઊંઝા એક એવા પ્રવેશદ્વાર તરીકે ઉભરી આવ્યું છે જે સ્થાનિક ખેડૂતોને વૈશ્વિક ગ્રાહકો સાથે સીધા જોડે છે. આનાથી હજારો ખેડૂતો અને વેપારીઓને રોજગાર અને વ્યવસાયની તકો મળી રહે છે. આગામી VGRCમાં ઊંઝાની આ સિદ્ધિઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જે કૃષિ ઉત્પાદન અને મસાલાના વેપારના વિકાસને વધુ વેગ આપશે. આ દર્શાવે છે કે ભારત વૈશ્વિક મસાલા ઉદ્યોગમાં પોતાનો પ્રભાવ સતત વધારી રહ્યું છે.