ગુજરાતમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને વન કર્મી પર હુમલા કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે દોષિત જાહેર કરી 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે. ચૈતર વસાવાને સજા મળતાં જ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે. હવે તેઓ આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે તેવું તેમના વકીલ દ્વારા જણાવાયું હતું. હાલમાં તેમને જેલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં તેમને કેદી નંબર 90888 ફાળવવામાં આવ્યો છે. 


વન કર્મી પર હુમલા કેસનો ચુકાદો આપવામાં આવ્યો

રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા વન કર્મી પર હુમલા કેસનો ચુકાદો આપવામાં આવ્યો છે. 190 પાનાના ચુકાદામાં આખરી ચુકાદો 18 પાનાનો છે. ચૈતર વસાવાને અલગ અલગ ગુનામાં જેલની સજા અને 96 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે. આ ઉપરાંત 50 હજાર અલગથી દંડ ફટકારવામાં આવ્યો છે.તેમની પત્ની શકુંતલા વસાવાને પણ સાત વર્ષની સજા ફટકારાઈ છે. ચૈતર વસાવા અને અન્ય આરોપીને રાજપીપળા જિલ્લા જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે.જ્યાં ચૈતર વસાવાને કેદી નંબર 90888 ફાળવવામાં આવ્યો છે. હવે તેઓ જેલમાં કેદી નંબર 90888 તરીકે ઓળખાશે. 

હવે ચૈતર વસાવા ચુકાદો ઉપલી કોર્ટમાં પડકારશે

રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત 9 લોકોને સજાનો હુકમ સંભળાવ્યો છે. જેમાં ઈ.પી.કો. કલમ 143, 147, 148, 149, 189, 332, 353, 386, 294(B), 506(2), 201, 34 તથા આર્મ્સ એક્ટ કલમ-25(1)(A) મુજબ સજા ફટકારવામાં આવી છે. હવે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવવા માટે જામીન મેળવવા દાદ માંગશે તેમજ સજા પર સ્ટે મેળવવા ઉપલી કોર્ટમાં જશે. જો તેમની સજા પર સ્ટે મળે તો જ તેમનું ધારાસભ્ય પદ માન્ય ગણાશે. જો ઉપલી કોર્ટ સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત રાખે તો તેમનું ધારાસભ્ય પદ આપો આપ રદ થઈ જશે. 

સજા પામેલા 9 આરોપી

1. ચૈતરભાઈ દામજીભાઈ વસાવા

2. જીતેન્દ્રભાઈ નાથાલાલ વસાવા

3. રમેશભાઈ ગીમ્બાભાઈ વસાવા

4. શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા 

5. મરીયમબેન ઝવેરભાઈ વસાવા 

6. બલીરામભાઈ કાલુસીંગભાઈ વસાવા

7. રીકેશભાઈ કુલસીંગભાઈ વસાવા 

8. મોગરાબેન રમેશભાઈ વસાવા 

9. શુકંતાબેન ઉર્ફે શકુંતલાબેન 

આ પણ વાંચોઃ Ahmedabad News: ડુપ્લીકેટ બ્લડ પ્લાઝમા કેસમાં આરોપી દિનેશના 5 દિવસના રિમાન્ડ મંજૂર


  • Follow us on: