વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સરકારે મંજૂરી આપી દીધી છે. આ ઘટના બાદ સસ્પેન્ડ કરાયેલા આર એન્ડ બી વિભાગના ક્લાસ 1 અધિકારી એન.એમ.નાયકાવાલા સામે તપાસ શરૂ થઇ છે. ACB દ્વારા તપાસ માટે સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી હતી, જેણે સરકારે ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈને મંજૂરી આપી છે. આ પગલાંથી સ્પષ્ટ થાય છે કે સરકાર આ મામલે કોઈ પણ પ્રકારની ઢીલાશ દાખવવા માંગતી નથી અને જવાબદાર આધિકારીઓને સજા કરવા માટે પ્રતિબદ્ધ છે.


સસ્પેન્ડેડ અધિકારીઓની 6 કલાક પૂછપરછ

સરકારની મંજૂરી ,મળતા જ SIT દ્વારા સસ્પેન્ડેડ અધિકારીઓ એન.એમ. નાયકાવાલાની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. આ પૂછપરછ 6 કલાક સુધી ચાલી હતી. જેમાં બ્રિજના નિર્માણ, જાળવણી અને સુરક્ષા સંબંધિત અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ મામલામાં કુલ 4 અધિકારીઓએ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ નાયકાવાલા ક્લાસ 1 અધિકારીઓ હોવાથી તેમની સામે તપાસ માટે ખાસ મંજૂરીની જરૂર હતી. હવે આ તપાસ બાદ વધુ ચોક્કસ માહિતી બહાર આવશે અને જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા સ્પષ્ટ થશે.

દુર્ઘટનામાં જવાબદારી નક્કી કરવાનો પ્રયાસ

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હવે આ તપાસ દ્વારા એ નક્કી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી જવાબદાર હતી. એસઆઈટી દ્વારા નાયકાવાલાની પૂછપરછ બાદ અન્ય અધિકારીઓ સામે પણ તપાસનો ગાળિયો કસાઈ શકે છે. આ પગલાથી ભવિષ્યમાં આવા સરકારી પ્રોજેક્ટ્સમાં પારદર્શિતા જળવાઈ રહે અને જવાબદારી નિશ્ચિત થાય તેવા સંકેતો મળે છે.


  • Follow us on: