વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ફરી એકવાર રસ્તા પર ભુવા પડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. શહેરના અકોટા - મુજમહુડા રોડ પર માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં બીજો મોટો ભુવો પડતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અકોટા - મુજમહુડા રોડ પર જ્યાં ત્રણ દિવસ પહેલાં ભુવો પડ્યો હતો. તેની નજીકમાં જ વધુ એક મોટો ભુવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત પૂરની સ્થિતિ બાદ આ રોડ પર ડ્રેનેજ અને વરસાદી કાંસની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વરસાદી કાંસનું કામ થયા બાદ વારંવાર પડે છે ભુવા
તેમ છતાં વારંવાર ભુવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રસ્તા પર વારંવાર ભુવા પડવાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોની હાલાકી વધી છે. તંત્ર દ્વારા ભુવા પડવાના સ્થળે બેરીકેડ લગાવીને માત્ર કામગીરીની ઔપચારિકતા કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે. આ બેરીકેડને કારણે આસપાસના દુકાનદારો અને વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે. કારણ કે તેમના વ્યવસાય પર સીધી અસર પડી રહી છે.













