વલસાડના અબ્રામા વિસ્તારમાં એક અત્યંત અમાનવીય અને ક્રૂર ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિએ રખડતા શ્વાનને પથ્થર મારીને મોતને ઘાટ ઉતાર્યું છે. આ ઘટના બાદ જીવદયા પ્રેમીઓની ફરિયાદના આધારે વલસાડ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અબ્રામા ખાતે આવેલી ઝેપ્ટો ઓફિસના પાછળના ભાગે બની હતી.


કર્મચારીએ રખડતા શ્વાનને પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યું

આરોપી શાબીર ભીંડી શેખ જે ઝેપ્ટોમાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે તેણે શ્વાનોને ભગાડવાના ઈરાદે તેમના પર પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન એક શ્વાનને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ક્રૂર કૃત્ય જોઈને ઓફિસના અન્ય કર્મચારીઓમાં પણ રોષ ફેલાયો હતો. તેઓએ આ મામલે જીવદયા સંસ્થા અને પ્રાણી કલ્યાણ બોર્ડને જાણ કરી હતી. ઘટના બાદ મૃત શ્વાનને પહેલા નદી કિનારે મૂકી દેવામાં આવ્યો હતો.

જીવદયા પ્રેમીઓએ પોલીસ ફરિયાદ કરતા કાર્યવાહી

પરંતુ જીવદયા પ્રેમીઓએ તેને પાછો લાવીને પોલીસ કાર્યવાહી માટે સુનિશ્ચિત કર્યું હતું. જીવદયા પ્રેમીઓએ આ મામલે તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં પ્રાણીઓ પર ક્રૂરતા દાખવવા બદલ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ઝડપી કાર્યવાહી કરતા આરોપી શાબીર ભીંડી શેખની ધરપકડ કરી છે. આ ઘટના ફરી એકવાર પશુઓ પ્રત્યેની અસંવેદનશીલતા અને ક્રૂરતાને ઉજાગર કરે છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: