વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા મિલકતમાં નામ ટ્રાન્સફર કરવાનું અભિયાન ચલાવી ફ્લેટધારકોને ઘરબેઠા કામગીરી કરી આપવામાં આવી હતી. મહાનગરપાલિકા કમિશ્નર યોગેશ ચૌધરી દ્વારા નામ ટ્રાન્સફર માટે આવતી અરજીઓના નિકાલ માટે સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી. કામગીરી ઝડપથી કરવા એક નવી પહેલ કરી મોટી સોસાયટીમાં અભિયાન ચલાવવા સૂચના આપવામાં આવી હતી.
કુલ રૂ.11.14 લાખની આવક પણ મેળવી
નાગરિકો કામધંધાની વ્યસ્તતા અને અન્ય કારણોથી નામ ટ્રાન્સફર કરાવવા કચેરી સુધી આવી શકતા ન હતા. આ અંગે નાયબ કમિશ્નર અશ્વિન પાઠકના માર્ગદર્શનમાં ચલા ખાતે આવેલી ધ પાર્ક સોસાયટીમાં મિલકતમાં નામ ટ્રાન્સફર કરવાનું અભિયાન સતત એક મહિનો ચલાવવામાં આવ્યું અને 112 મિલકત ધારકોનું નામ ટ્રાન્સફર કરી આપી ફીની રૂ.4.70 લાખની તથા વેરાની રૂ.6.44 લાખ મળી કુલ રૂ.11.14 લાખની આવક પણ મેળવી હતી.













