- 3 હજારથી વધુ સરકારી આવાસ વેચાતા નથી
- 200થી વધુ દુકાનો ન વેચાતા પાલિકાને ખોટ
- હાલની પરિસ્થિતિમાં પાલિકાને કરોડો રૂપિયાની ખોટ
વડોદરામાં મનપાનું તંત્ર ગરીબોની સારસંભાળ લેવામાં ઊણું ઉતર્યું છે. અહીં છેલ્લા 7 વર્ષથી કોર્પોરેશન દ્વારા વિવિધ ગરીબ આવાસ યોજના હેઠળ બનેલા 3000 મકાનો તેના લાભાર્થી ગરીબ પરિવારોને ફાળવી શકાયા નથી. જેના હિસાબે અનેક ગરીબ પરિવારો આજે પણ મોંઘું ભાડું ભરીને મજબૂરીમાં પોતાનો ગુજારો કરી રહ્યા છે. આ કુટુંબોએ મકાન હોવા છતાં પણ છત વગર પોતાનું ગુજરાન ચલાવવા મજબૂર થવું પડ્યું છે અને આમાં વાંક તેમનો નહીં પરંતુ તંત્રના અધિકારીઓ અને અમલદારોનો છે. આનાથી પાલિકાને પણ કરોડો રૂપિયાની ખોટ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
મહત્વનું છે કે ગુજરાતમાં ગરીબ લોકો માટે મકાનો બનાવી આપવાની યોજનાઓ સરકાર તરફથી અમલી બનાવાઈ છે. જેનાથી નિર્ધન લોકોને સસ્તા દરે ડ્રો કરાવી તેના મારફતે પાક્કું મકાન બનાવી આપવામાં આવે છે. જેનાથી અનેક ગરીબ પરિવારોને પોતાની છત મળે છે અને તેઓ સ્વાભાવિક જિંદગી જીવી શકે છે. જો કે ફક્ત કાગળ ઉપર મકાન ફાળવણીની કાર્યવાહી બતાવતું તંત્ર વાસ્તવમાં લાભાર્થીઓને મકાનની ફાળવણી માં ઉણું ઉતર્યું છે. આ અંગેની માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં સરકારની વિવિધ ગરીબ આવાસ યોજનાઓમાં 599 કરોડના ખર્ચે 6649 મકાનો અને 402 દુકાનો બનાવવામાં આવી હતી, જેમાંથી વડોદરા મહાનગર પાલિકાની વિવિધ આવાસ યોજનાના 3000 મકાનો અને 200 દુકાનો છેલ્લા 7 વર્ષમાં લાભાર્થીઓ આપી શકાયા નથી. આ તૈયાર અનેક મકાનો અને દુકાનો વેચાણ કર્યા વિનાના પડી રહ્યા છે અને ભંગાર હાલતમાં ફેરવાઈ રહ્યા છે. હજારો લાખો કરોડો રૂપિયાના આંધણ છતાં પણ મનપા તંત્રના ગેરવહીવટના પાપે આ મકાનો અને દુકાનો તેના ખરા હકદારો સુધી ન પહોંચી શકતા તેઓ ધૂળ ખાઈ રહ્યા છે અને ગરીબો બહાર મોંઘુ ભાડું ભરવા માટે મજબૂર બની રહ્યા છે.













