સુરતની સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી જ લાંબી લાઈન જોવા મળી. આ લાઈન દર્દીઓની નહીં પરંતુ અમરનાથા યાત્રા જવા માગતા શ્રધ્ધાળુઓની હતી. શહેરની સિવિલ હોસ્પિટલમાં લોકો આરોગ્ય પ્રમાણપત્ર મેળવવા લાઈનમાં ઉભા હતા. અમરનાથ યાત્રા પર જવા આરોગ્ય પ્રમાણપત્ર ફરજીયાત હોય છે અને એટલે જ સર્ટિફિકેટ હોસ્પિટલ બહાર વહેલી સવારે 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા હતા. ધીરે-ધીરે ભીડ એટલી બધી વધતી ગઈ. કયાંય સુધી હોસ્પિટલ સ્ટાફ દ્વારા દરવાજો ખોલવામાં ના આવતા બહાર ઉભેલા લોકોની ધીરજ ખૂટી અને તેઓ મેઈન ગેટનો દરવાજો તોડી નાખ્યો.


અરાજકતા સર્જાતા પોલીસ બોલાવી પડી

સિવિલ હોસ્પિટલ બહાર અમરનાથા યાત્રા પર જવા સર્ટિફિકેટ લેવા આવેલા શ્રદ્ધાળુઓનો ઉત્સાહ એટલો બધો હતો કે દરવાજો તોડી નાખ્યો. કયારે ડોક્ટર આવે તેમની કામગીરી શરૂ કરી તેની લોકો રાહ જોતા હતા. પરંતુ ડોક્ટર ના આવતા હોસ્પિટલ બહાર લોકોએ બબાલ મચાવી અને ભગવાન ભોલેનાથના નારા લગાવી મેઈન ગેટનો દરવાજો જ તોડી નાખ્યો. હોસ્પિટલમાં સ્થિતિ કાબૂ બહાર જતા આખરે પોલીસ બોલાવવી પડી. આરોગ્ય પ્રમાણપત્ર લેવા આવેલ લોકોએ બબાલ મચાવતા હોસ્પિટલની રોજીંદી કામગીરી ખોરવાઈ ગઈ.

અમરનાથ યાત્રા

નોંધનીય છે કે આ વર્ષે જુલાઈ મહિનાની 3જી તારીખથી અમરનાથ યાત્રાની શરૂઆત થવાની છે. અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર આ યાત્રા પર જવા ઇચ્છતા શ્રદ્ધાળુઓએ આરોગ્ય પ્રમાણપત ફરજીયાત લાવવાનું રહેશે. અમરાનાથ યાત્રા 3જુલાઈના રોજ શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે .38 દિવસ ચાલનાર આ અમરનાથ યાત્રા માટે 31મેના રોજથી રજીસ્ટ્રેશન કરવાની શરૂઆત થશે. શાસ્ત્રો પુરાણોમાં પણ કહેવાયું છે કે 23 તીર્થસ્થળોની મુલાકાત લઈને ભક્તને એટલું જ પુણ્ય અમરનાથ યાત્રા કરવાથી પ્રાપ્ત થાય છે. અને એટલે જ છેલ્લા કેટલાક વર્ષોમાં અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહેતો હોય છે.


  • Follow us on: