સુરતમાં મુસાફરો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રેલ્વેમાં મુસાફરી કરતી વખતે આ બાબત અવશ્ય ધ્યાનમાં રાખો. ઉધના રેલ્વે સ્ટેશનને લઈને રેલ મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉધના રેલ્વે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 1 ટૂંકાગાળા માટે બંધ કરવામાં આવ્યું છે.


મુસાફરોને પડશે હાલાકી

ઉધના રેલ્વે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર-1 અવરજવર માટે 120 દિવસ બંધ રાખવાનો રેલ્વે વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. અધિકારીના જણાવ્યા મુજબ રિડેવલોપ અને કોનકોર્સની કામગીરીને લઈ પ્લેટફોર્મ નંબર-1 થોડા સમય પૂરતું બંધ રાખવામાં આવશે. પ્લેટફોર્મ નંબર-1 પર ઉભી રહેતી તમામ ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પર શિફ્ટ કરવામાં આવી છે. જે અંતર્ગત ઉધના પ્લેટફોર્મ નંબર 1 પર આવતી તમામ ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ નંબર 2, 3 અને 4 પર શિફ્ટ કરવામાં આવી છે. જયારે 7 જેટલી ટ્રેનોને ઉધના સ્ટેશનને બદલે સુરત સ્ટેશનથી રવાના કરવામાં આવશે. ઉધના પ્લેટફોર્મ નંબર-1 બંધ રાખતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.

રેલ્વે વિભાગનો નિર્ણય

ઉનાળાની ગરમીમાં મોટાભાગના લોકો બહાર ફરવાનું આયોજન કરતા હોય છે. મુસાફરી માટે બસ, ટ્રેન અને ફલાઈટમાં પણ અત્યારે બુકિંગ હાઉસફુલ જોવા મળે છે. મોટાભાગના લોકોને ટ્રેનમાં મુસાફરી કરવાનું વધુ પસંદ હોય છે. ગુજરાતના મહાનગરોમાં રેલ્વે સ્ટેશનમાં રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.  અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનની પણ કાયાપલટ કરવાની શરૂઆત થઈ ગઈ છે અને હવે રેલ્વે વિભાગ દ્વારા સુરતમાં પણ રેલ્વે સ્ટેશનમાં રિડેવલોપ અને કોનકોર્સની કામગીરીને પગલે ઉધના પ્લેટફોર્મ નંબર 1 ટૂંકાગાળા માટે અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • Follow us on: