પોરબંદરમાં ઝુરીના જંગલમાં ભીષણ આગ લાગવાની ઘટના અવાર નવાર બનતી હોય છે. તેવામાં પોરબંદરના ઝુરીના જંગલમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દ્વારા ડિફેન્સ પાસે મદદની માગ કરવામાં આવી છે. અનેક વાર ઝુરીના જંગલમાં આગ લાગવા છતાં તંત્ર દ્વારા કોઇ તપાસ કરવામાં આવતી નથી. વર્ષ 2025માં 4થી 5 વાર ઝૂરી જંગલમાં આગ લાગી હોવાની ઘટના બની છે. 


ઓડદર નજીક ઝુરીના વૃક્ષોમાં ફરી આગ ભભુકી ઉઠી હતી, જેમાં અનેક પક્ષીઓ સળગી ગયા હતા. આગના બનાવથી પ્રકૃતિપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જંગલ ખાતાના કર્મચારીઓ આગના બનાવો બનતા અટકાવવા કામગીરી કરે તેવી માંગણી કરી રહ્યા છે. પોરબંદર-સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર પોરબંદરથી ઓડદર સુધી દરિયા કિનારા તથા માર્ગ ઉપર આશરે 30 થી 40 વર્ષ જુનું ઝુરીઓનું જંગલ આવેલું છે. આ જંગલમાં કોઇ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

આગની જાણ પોરબંદર ફાયરબ્રિગેડને કરવામાં આવતા તાત્કાલિક ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી હતી. પરંતુ આ ઝુરીઓના જંગલમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ તથા તેના માળાઓ આવેલા છે તેમાં તેતર, સસલા, શિયાળનો કાયમી વસવાટ કરે છે ત્યારે ભિષણ આગને ફાયર ફાઇટરોએ વધુ ફેલાતી અટકાવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. પોરબંદરના ઝુરીના જંગલમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દ્વારા ડિફેન્સ પાસે મદદની માંગ કરવામાં આવી છે. અનેકવાર ઝુરીના જંગલમાં આગ લાગવા છતાં તંત્ર દ્વારા કોઇ તપાસ કરવામાં આવતી નથી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.


  • Follow us on: