રાજકોટમાં અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવા વિજ્ઞાન જાથા દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. પશુ બલી હોય કે ભૂવાઓના ધતિંગો હોય વિજ્ઞાન જાથા દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવે છે. શહેરમાં કોઠારિયા વિસ્તારમાં નિર્દોષ પશુઓની બલી ચઢાવવામાં આવતી હોવાની માહિતી મળતા વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પશુઓને બચાવવાનો પ્રયત્ન કરતાં સ્થાનિકો દ્વારા હુમલો કરાયો હતો. આ ઘટનામાં પોલીસ પર પથ્થરમારો કરનારા 20 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે.


પોલીસના વાહનમાં તોડફોડ કરવામાં આવી

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં કોઠારિયા વિસ્તારમાં માતાજીના માંડવામાં પશુ બલી અટકાવવા જતાં બબાલ થઈ હતી. વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા પોલીસ સાથે માતાજીના માંડવે પહોંચીને નિર્દોષ પશુઓને બચાવવા જતાં દેકારો બોલી ગયો હતો. જીવ હિંસા અટકાવવા માટે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને પોલીસ કોઠારિયા સોલવન્ટ પાછળ આવેલા વિસ્તારમાં પહોંચ્યા હતાં. જ્યાં સાતેક પશુઓની બલી ચઢાવવાની તૈયારી કરાઈ હતી. આ દરમિયાન પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસના વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી.

ટોળુ વિખેરવા હળવો લાઠી ચાર્જ કરવો પડ્યો

આ ઘટનામાં પોલીસે ટોળુ વિખેરવા હળવો લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આજીડેમ પોલીસે આ ઘટનામાં 20 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ પર એટેક થતાં મામલો બિચક્યો હતો. પોલીસે આ ઘટનામાં તાત્કાલિક 6થી વધુ આરોપીને ઝડપી લીધા હતાં. તમામ આરોપીઓ સામે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: