રાજકોટ જિલ્લામાં સરધારમાં આવેલી વાડીમાં પૂર્વ સરપંચની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આરોપીએ ત્રિકમનો ઘા ઝીંકીને પૂર્વ સરપંચ હરેશ સવાલિયાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી હતી. તો રાજકોટના સરધારમાં પૂર્વ સરપંચની હત્યામાં મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પૂર્વ સરપંચ હરેશ સવાલિયાની હત્યા તેમના ભાગીદારે કરી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલું છે. 


હત્યાનો આરોપી ઝડપાયો

ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપીને આકરી પૂછપરછ કરી હતી. તેથી આરોપી ભાંગી પડ્યો હતો. જેણે કબૂલ્યું કે, તેણે હત્યા કરી છે. પૂર્વ સરપંચ હરેશ સવાલિયાની હત્યા ભાગીયા ખેડૂત મનોજ દ્વારા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. સરધારના પૂર્વ સરપંચ હરેશ સવાલિયાની હત્યા ખેડૂત ભાગીદારે કરી હતી. આરોપી ભાગીયા મનોજ સાથે પૂર્વ સરપંચે ખેતીમાં 33 ટકાની ભાગીદારી રાખેલ હતી. પૂર્વ સરપંચ આરોપીની પત્નીને અડપલા કરતો હતો. રોજ તેની છેડતી કરીને પરેશાન કરતો હતો.

આરોપીએ કેમ કરી હત્યા?

પૂર્વ સરપંચની હત્યાનો ખુલાસો કરતા આરોપી મનોજે જણાવ્યું કે,પૂર્વ સરપંચ હરેશ સવાલિયા તેની પત્નીની છેડતી કરતો હતો,જે અંગે પત્નીએ પૂર્વ સરપંચની કરતૂતની જાણ આરોપીને કરી હતી.જેથી આ બાબતે આરોપી મનોજ ખૂબ જ ગુસ્સે થયો હતો અને પૂર્વ સરપંચની હત્યા કરવાનું કાવતરુ ઘડી નાખ્યું હતું. આરોપી મનોજે પૂર્વ સરપંચની હત્યા કર્યાના એક દિવસ પહેલા પત્ની અને પરિવારને વતનમાં મોકલી દીધા હતા. જેવો મોકો જોઈને આરોપી મનોજે ત્રિકમના ઘા ઝીંકીને પૂર્વ સરપંચ હરેશ સવાલિયાની હત્યા કરી નાખી હતી. તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી લઈને વધુની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: